માહિતી વિભાગ દ્વારા નર્મદા, વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશજીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું કે, યોગ પ્રત્યેક બિમારીનો ઉપચાર છે. આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારિરીક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે.
યોગને જીવનમાં આત્મસાત કરવા માટે કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશજીએ યુવાધન સહિત સૌને આહ્વાન કર્યું હતું. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇને ઘણી આનંદની અનુભુતી થઇ રહી હોવાનું ઉમેર્યુ હતુ. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પણ નર્મદા જિલ્લાના યુવાનો, નગરજનો યોગ તરફ આકર્ષાય તે માટે આહવાન કરતા જણાવ્યુ હતુ કે, યોગ શરીર નિરોગી માટે અત્યંત જરૂરી છે, માનનીય દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીનાં વિઝનરી પ્રયાસોના કારણે આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે.
'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદાના આઇકોનિક પ્રવાસન સ્થળ SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો હતો. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ પણ પોતાની ઉપસ્થિત નોંધાવી હતી. આ પ્રસંગે CEO શ્રી ઉદિત અગ્રવાલે કેન્દ્રીય મંત્રીશ્રી સોમપ્રકાશજીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપી અભિવાદન કર્યું હતું. આ વેળાએ સુરત ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ અમેરિકા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વીડિયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે આપેલું પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500