Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જીલ્લામાં કરૂણા એનીમલ એમ્‍બ્‍યુલન્‍સ-૧૯૬૨ શરૂ,વર્ષના ૩૬૫ દિવસ નિઃશુલ્‍ક પશુ સારવાર મેળવી શકાશે

  • June 26, 2020 

Tapi mitra news:રાજયમાં કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા ‘કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ-૧૯૬૨' કાર્યરત છે. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના ૧૦૮ના સફળ અનુભવ બાદ પશુઓની સારવારને ધ્‍યાને લેતા પશુ મોબાઇલ વાન દ્વારા ફરતું દવાખાનાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજયસરકાર દ્વારા ‘૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના' હેઠળ GVK-EMRI મારફતે વલસાડ જિલ્લામાં ૩ પશુ મોબાઇલ વાન ફાળવવામાં આવી છે. આકસ્‍મિક સારવાર માટે ૧૯૬૨ ઉપર ફોન કરી નિયત કરેલા ગામોને ઘરબેઠા વિનામૂલ્‍યે પશુસારવાર આપવામાં આવશે. વલસાડ જિલ્લા પંચાયતના પ્રાંગણમાં વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલના વરદ હસ્‍તે આ વાનને લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, સહકાર અને ઉત્‍પાદન સમિતિ અધ્‍યક્ષા હેતલબેન પટેલ, નાયબ પશુપાલન નિયામક ડૉ. વી.ડી.મહાજન હાજર રહ્યા હતા.વલસાડ જિલ્લામાં હાલ ત્રણ તાલુકાઓના ૩૦ ગામોમાં આ વાન સેવા આપશે. જેમાં ઉમરગામ તાલુકાના મરોલી, ફણસા, ધોડીપાડા, કનાડુ, કલગામ, સરઇ, મમકવાડા, સરોંડા, માણેકપુર અને નારગોલ, ધરમપુર તાલુકાના ધામણી, તામછડી, દાંડવળ, પેણધા, નાનીકોરવડ, વાંસદાજંગલ, સિંગારમાળ, અવલખંડી તેમજ મોહના કાવચાલી તથા વલસાડ તાલુકાના ચણવઇ, પાથરી, ગાડરીયા, રોણવેલ, ભોમાપારડી, અંજલાવ, બીનવાડા, રાબડા, નવેરા અને ઓઝર ગામોનો સમાવેશ કરાયો છે. આ મોબાઇલ વાન પશુ દવાખાના દ્વારા નિયત કરેલા ગામોમાં સેવા આપશે. ઉલ્લેખનીય છે કે, મોબાઇલ વાનમાં જરૂરી તમામ દવા તથા સાધન સામગ્રી અને નિષ્‍ણાંત પશુચિકિત્‍સક સાથે ઉપલબ્‍ધ છે. આ  યોજના મારફતે નિઃશુલ્‍ક પશુ સારવાર વર્ષના ૩૬૫ દિવસ, સવારે ૭ થી રાત્રે ૭ સુધી મેળવી શકાશે. તમામ વાન જીપીએસની સુવિધાયુક્‍ત હોવાથી માન.મુખ્‍યમંત્રીના ડેશબોર્ડ મારફતે રીયલ ટાઇમ મોનિટરીંગ કરવામાં આવશે.આરોગ્‍ય વિભાગ દ્વારા ૧૦૮ની સેવા કાર્યરત છે. તે જ પ્રમાણે પશુઓની ત્‍વરિત સારવાર અર્થે ૧૯૬૨ ઉપર ફ્રી નંબર ડાયલ કરવાથી આ મોબાઇલ વાનની સેવા વિના મુલ્‍યે ગામમાં બેઠા-બેઠાં પશુસારવાર કરાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનાના પહેલા તબક્કામાં માન.મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે ૧૦૮ જેટલા મોબાઇલ વાનને લીલી ઝંડી આપી યોજનાની શરૂઆત સોમવારથી કરવામાં આવી છે. જેના બીજા તબક્કામાં વિવિધ જિલ્લાઓને કુલ-૪૬૦ મોબાઇલ વાન ફાળવવામાં આવનાર છે. જેનો લાભ રાજયના ૪૬૦૦ થી વધુ ગામોના પશુપાલકોને ઘર બેઠા સેવા મળી રહેશે.આ અવસરે મદદનીશ પશુપાલન નિયામક ડૉ.એમ.સી.પટેલ, ૧૦૮ પ્રોગ્રામ મેનેજર દીનેશ ઉપાધ્‍યાય, પશુચિકિત્‍સા અધિકારી ડૉ.હીતેશ પટેલ, ૧૦૮ વલસાડ જિલ્લા સુપરવાઇઝર જયદેવ રતન તથા અન્‍ય કર્મચારી ગણ ઉપસ્‍થિત રહયા હતા.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application