Tapi mitra News-જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલના અધ્યક્ષસ્થાને સુરત મ્યુ. કમિશનરશ્રી, પોલિસ કમિશનરશ્રી, એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી અને અન્ય સત્તાધિકારીઓ, જિલ્લા રજીસ્ટ્રાર અને સંબંધિત અધિકારીઓ સાથે સહારા દરવાજાની એ.પી.એમ.સી. માર્કેટના પ્રશ્ન અંગે યોજાયેલી બેઠકમાં એ.પી.એમ.સી. માર્કેટ સંદર્ભે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંગે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં લોકોને પૂરતા પ્રમાણમાં શાકભાજી ઉપલબ્ધ બને તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાઈ રહે તે માટે એ.પી.એમ.સી. માર્કેટને બંધ રાખવાના નિર્ણયમાં આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખેડૂતો એ.પી.એમ.સી.માં પોતાનો શાકભાજી, ફળફળાદિ જેવો માલ ટ્રેક્ટર, ભારે ટ્રક, આઈશર ટ્રક, બંધ બોડીના ઇકો વાન વેગેરેમાં લાવી શકશે. એ.પી.એમ.સી.માં માલ ખરીદવા માટે માત્ર ટાટા ૪૦૭ કે તેથી ભારે વાહનો જ જઈ શકશે. ટેમ્પો, ઓટો રિક્ષા, છકડો, હાથલારી, છોટા હાથી એ.પી.એમ.સી.માં પ્રવેશી શકશે નહિ. માણસો ચાલીને પણ જઈ શકશે નહી. ખેડૂતો પોતાના ખાનગી વાહનો દ્વારા સોસાયટીના નાકે શાકભાજીનું વેચાણ કરી શકશે. પરંતુ વેચાણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન થાય તે માટે વેચાણકર્તા ખેડૂત અને ખરીદનાર નાગરિકોએ ધ્યાન રાખવું જરૂરી છે. એસ.એમ.સી. સંચાલિત કસ્તુરબા ગાંધી શાક માર્કેટના વિક્રેતાઓ સમૂહમાં જે તે માર્કેટની આખી જરૂરિયાત મુજબનો શાકભાજીનો જથ્થો મેળવવા એક દિવસ અગાઉ એ.પી.એમ.સી.ને જણાવવું. જેથી એ.પી.એમ.સી. દ્વારા ટ્રક મારફતે આ માર્કેટોમાં શાકભાજીનો જથ્થો પૂરો પાડવામાં આવશે.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, શહેરમાં નક્કી કરાયેલા કેટલાક નિયત સ્થાનો પર એ.પી.એમ.સી.ના કમિશન એજન્ટો, ખેડૂતો કે જથ્થાબંધ વેપારીઓ પોતાનો માલ છૂટક વિક્રેતાઓને વેચી શકશે. આ સ્થાનો પર ટેમ્પો, ઓટો રિક્ષા, છકડો, હાથલારી, છોટા હાથી ધરાવતાં કાછીયાઓ જ માલ લઇ શકશે. અહી છૂટક વેચાણ કરાશે નહિ, જેથી કોઈ એકલદોકલ વ્યક્તિ, કાર, ટુ વ્હીલર લઇને કોઈ આ સ્થળો પર શાકભાજી ખરીદવા જઈ શકશે નહિ. નાગરિકો પોતાની નજીકના શાકભાજી વેચાણ સ્થળે તેમજ એસ.એમ.સી. સંચાલિત કસ્તુરબા ગાંધી શાક માર્કેટ પરથી શાકભાજી ખરીદી શકશે એમ કલેકટરશ્રીએ ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500