Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લાના ૧૩ સી.એચ.સી. અને ટ્રસ્ટ સંચાલિત છ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાશે: આરોગ્ય રાજ્યમંત્રી

  • May 14, 2021 

આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ ''મારૂ ગામ, કોરોનામુકત ગામ' અભિયાન અંતર્ગત આજે પલસાણા તાલુકાના ચલથાણ ગામની સંજીવન આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલ, બારડોલી તાલુકા મથકે આવેલી સ્વર્ણિમ ગ્રુપ ઓફ હોસ્પિટલ સંચાલિત આઈસોલેશન સેન્ટર અને બારડોલીના બામણી ગામ સ્થિત ભુલાભાઈ રામભાઈ સ્મારક હોસ્પિટલમાં ચાલતા ૨૫ બેડના ઓકિસજનની સુવિધા સાથે કોવિડ આઈસોલેશન સેન્ટરની મુલાકાત લિધી હતી. જ્યાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ, બેડ, ઓક્સિજન સપ્લાય અને જરૂરી સંસાધનો અંગે જાતતપાસ કરી દર્દીઓના ક્ષેમકુશળ પૂછી ઝડપભેર સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. જયાં પણ રાજય સરકારના સહયોગની જરૂર હશે ત્યાં સહયોગ પુરો પાડવામાં આવશે તેવી હૈયાધરપત મંત્રીએ આપી હતી. આ વેળાએ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બારડોલી નગરપાલિકા ખાતે અધિકારી-પદાધિકારીઓ સાથે કોરોનાને લગતી બેઠક પણ યોજાઈ હતી.

 

 

 

 

 

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, ચલથાણની સંજીવની હોસ્પિટલએ આસપાસની અંદાજિત ૫૦ હજારની વસ્તી માટે આરોગ્યની સંજીવની સમાન સાબિત થઈ છે. કોરોનાના વિકટ સમયમાં દર્દીઓ માટે ખૂબ ઉપયોગી બની રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર પુરતા પ્રયાસો કરી રહી છે. ગામમાં બનાવવામાં આવેલા આઈસોલેશન સેન્ટરોનો હળવા લક્ષણોવાળા, શરદી, ઉધરસ કે તાવ ધરાવતા ગ્રામવાસીઓ લાભ લઈને કુટુંબ તથા ગામને કોરોનામુકત બનાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

 

 

 

 

બારડોલી તાલુકા મથકે આવેલી સ્વર્ણિમ ગ્રુપ ઓફ હોસ્પિટલના ૫૦ બેડના આઈસોલેશન સેન્ટરની મુલાકાત લઇને દર્દીઓને આપવામાં આવતી સારવાર-સુશ્રુષાની વિગતો મેળવી હતી. મંત્રીશ્રીએ બારડોલી નગરપાલિકા ખાતે અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી અટકાવવા માટે લેવામાં આવેલા પગલાઓ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજય સરકારે કોરોના દર્દીઓ માટે બેડ, વેન્ટિલેટર, ઈન્જેક્શન, ઓક્સિજન સહિતની સુવિધાઓ મળે તે માટે અથાગ પ્રયાસો કર્યા છે. રાજયના ૩૪૮ સી.એચ.સી. સેન્ટરો ખાતે ઓક્સિજન પ્લાન્ટો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે, જે પૈકી સુરત જિલ્લાના ૧૩ સી.એચ.સી. ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે. આ ઉપરાંત સહકારી સંસ્થાઓના સહયોગથી જિલ્લાની છ જેટલી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.

 

 

 

 

ધારાસભ્યને ફાળવવામાં આવતી રૂ.૧.૫૦ કરોડની ગ્રાન્ટને કોરોના સારવારના સંસાધનો માટે ખર્ચ કરવા મંજુરી આપવામાં આવી છે. આરોગ્યલક્ષી કોઈ પણ સમસ્યાને ઉકેલવા અને જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યા સરકારે જનહિતને નજર સમક્ષ રાખી ત્વરિત નિર્ણયો કર્યા છે. મંત્રીએ સૌ પદાધિકારીઓને પોતાના વોર્ડમાં જઈ લોકોને તબક્કાવાર રસીકરણથી લાભાન્વિત કરવા જણાવી શરદી-ખાંસી જેવા લક્ષણો જણાય તો સત્વરે તેમનો કોરોના ટેસ્ટ કરાવવા અંગે તકેદારી લઈને 'મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ' અભિયાન શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application