નવસારીનાં કબીલપોરમાં ફર્નિચરની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી મંદિર માટે ત્રિપોઇ ખરીદવી છે તેમ કહી રૂપિયા ૭ હજાર લઈ રફુચક્કર થઈ ગયેલા સુરતના એક યુવકની નવસારી રૂરલ પોલીસે ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, બળવંતરાયે જગુભાઈ મિસ્ત્રી (ઉ.વ.૫૩, રહે.ઘર નં.૬૧, સુથારવાડ, માનસરોવર એપાર્ટમેન્ટની સામે, કબીલપોર, નવસારી) તેમના ઘરના નીચે ફર્નિચરની દુકાન ધરાવે છે. તારીખ ૨૪મીના સવારે તેઓ તેમના દુકાનના કારીગર રમણભાઇ રાઠોડ સાથે ફર્નિચરનું કામ કરતા હતા.
તે વખતે એક યુવક ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો. જેણે રામજી મંદિરમાં ત્રિપોઈ જોઈએ છે. મારી પાસે મંદિરમાં આવેલ ૫૦-૫૦ રૂપિયાની નોટો છે. જો તમે ૫૦૦/-ના દરની નોટો આપો તેમ કહેતા બળવંતરાયે તેને રૂપિયા ૭ હજારની ૫૦૦/-ના દરની ૧૪ નોટો આપી હતી. જે આપતા જ યુવકે મારી પાછળ મંદિર આવો તેમ કહેતા દુકાનદાર બળવંતરાયે તેમના ઘરની સામે રહેતા નિલ મિસ્ત્રીને તે અજાણ્યા ગ્રાહકની હોન્ડા સાઈન બાઈકની પાછળ બેસાડી દીધો હતો. આ સમયે ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગબાજે થોડે દુર નિલ મિસ્ત્રીને ઉતારી દઈ રફુચક્કર થઇ ગયો હતો. જે અંગેની ફરિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ ગુનામાં રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી બાઈકના નંબરના આધારે સુરત માંથી આરોપી અશોક નંદલાલ રાણા (ઉ.વ.૩૫, રહે.અમૃત સન્મુખની વાડી, રૂસ્તમપુરા)ને ઝડપી પાડયો હતો. બનાવ અંગે વધુ તપાસ નવસારી રૂરલ પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500