જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલો હુમલો માત્ર સહેલાણીઓ ઉપર જ થયો હતો તેમ નથી. તે કાશ્મીર ખીણમાં વસતા અઢી લાખ લોકોની રોજી-રોટી ઉપરનો હુમલો છે, એ કેન્દ્ર શાસિત પ્રદેશનાં અર્થતંત્ર પરનો હુમલો છે. કાશ્મીર ખીણનાં અર્થતંત્રની કરોડરજ્જુ તૂટી જવાની છે, સમગ્ર ખીણ પ્રદેશ ગંભીર કટોકટીમાં મુકાઈ જવાનો છે. પ્રવાસીઓને મારવામાં આવેલી એકે એક ગોળી, કાશ્મીરનાં અર્થતંત્રને વર્ષો સુધી પાછુ ધકેલી દેશે. આ હુમલા અંગે પાકિસ્તાને સફાઈ મારતાં કહ્યું છે કે, અમારે તેની સાથે કશી લેવા-દેવા નથી.
તે હુમલો તો ત્યાંના સ્થાનિક આતંકીઓએ જ કર્યો હશે. તો પ્રશ્ન તે થાય છે કે : જેમની રોજી-રોટીનો આધાર જ પ્રવાસન ઉદ્યોગ પર છે, તેઓ આવા હુમલા શા માટે કરે. કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગ વર્ષે રૂ.12000 કરોડ આપે છે. એક અંદાજ પ્રમાણે તો 2030 સુધીમાં આ ઉદ્યોગ રૂ.25થી 30 હજાર કરોડ જેટલો વિકસવાની સંભાવના હતી. સૌથી વધુ ખેદજનક બાબત તો તે છે કે, હજી પ્રવાસનની ઋતુ શરૂ જ થઈ છે. તેવામાં આ હુમલો થતાં સમગ્ર સીઝન દરમિયાન પ્રવાસીઓ નહીં આવે. આ કેન્દ્ર શાસિત પ્રદેશનાં પાટનગર શ્રીનગર પાસેના ડાલ-લેઈકમાં 1500 હાઉસ-બોટ્સ છે. કાશ્મીરમાં નાની અને મોટી હોટેલોમાં મળી 300 થી વધુ રૂમ છે. જયારે 2024માં 2 કરોડ 36 લાખ પ્રવાસીઓ કાશ્મીર ગયા હતા.
રાજ્યને પછીથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધતી જ રહી છે. ૨૦૨૦માં ૩૪ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. પરંતુ 2021 માં 1.13 કરોડ પ્રવાસીઓ ગયા હતા. 2022માં તે 2.36 કરોડ સુધી પહોંચ્યો તેમાં 65,000 તો વિદેશી પ્રવાસીઓ હતા. અહીં સરકાર જ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. જ્યારે બોલીવુડ માટે પણ તે મહત્ત્વનું છે. અહીં ફિલ્મોના અનેક શોટ્સ ઉતરે છે, તેથી પણ સ્થાનિક નિવાસીઓની આમદાની વધે છે. આ રીતે કાશ્મીર આર્થિક રીતે સમૃધ્ધ થતું રહ્યું છે. 2017માં ત્યાં માત્ર 14.88 લાખ નવા વ્હીકલ્સ નોંધાયા હતાં. જ્યારે ૨૦૨૪માં ૨૭.૮૮ લાખ નવા વાહનો ત્યાં નોંધાયા. આમ ખીણ વિસ્તારનો સર્વનો ભદ્ર વિકાસ થઈ રહ્યો છે. હવે તો ત્યાં રેલવે શરૂ થશે. વંદે-ભારત રેલવે પણ ત્યાં શરૂ થશે. આ આતંકી હુમલાને લીધે અનેકવિધ મુશ્કેલીઓ ઉભી થવા સંભવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500