નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં બોડવાંક ગામે અજાણ્યા તસ્કરોએ ત્રણ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીનાં દાગીના તેમજ રોકડ રૂપિયા મળી ૪.૬૦ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, બોડવાંક ગામે ત્રણ મકાનમાંથી એક ઘરનો પરિવાર વિદેશ હોવાથી ચોરી ગયેલ ચીજવસ્તુઓ જાણી શકાય ન હતી. એક સાથે ત્રણ જેટલા ઘરોને ચોરટાઓએ ટાર્ગેટ બનાવતા ચીખલી પોલીસના રાત્રે પેટ્રોલિંગના ધજાગરા ઉડાયા છે. બોડવાંક ગામનાં ગામતળ ફળીયામાં રહેતા કરસનભાઈ ગોવનભાઇ ધોડિયા પટેલ (ઉ.વ.૬૧) જે ગત તારીખ ૩ ડિસેમ્બરની વહેલી સવારનાં સમયે ભાવનગર ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. અને ત્યાંથી પરત ૪ ડિસેમ્બરે સુરત ખાતે આવતા મહારાષ્ટ્રનાં પુના ખાતે રહેતો પુત્રએ ફોન કરી બોડવાંક મકાનમાં ચોરી થઈ હોવાની હકીકત જણાવી હતી.
જોકે કરસનભાઈ પટેલ તાત્કાલીક આવી પહોંચી જોતા મકાનનાં આગળનાં દરવાજાને મારેલ તાળુંનો નકુચો તૂટેલ હાલતમાં હતો અને દરવાજો અંદરથી બંધ હોય જેથી પાછળના દરવાજાથી ઘરમાં પ્રવેશ કરી જોતા રૂમની અંદર મુકેલા અલગ અલગ ચાર જેટલા કબાટો ખુલ્લા હતા અને સરસામાન વેર વિખેર હાલતમાં હતો કબાટની અંદર તપાસ કરતા સોનાનું કાનનું ઝુંમર ૧.૪ તોલા જેની કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- સોનાનું મંગળસૂત્ર ૪.પ તોલા જેની કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/-, રૂદ્રાક્ષની માળા ૩.૪ તોલા જેની કીન્માર રૂપિયા ૧,૨૦,૦૦૦/-, રૂદ્રાક્ષનું બ્રેસલેટ ૧.૩ તોલા જેની કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- તેમજ રોકડા રૂપિયા ૯૬,૦૦૦/- અને ઘડિયાળ મળી કુલ રૂપિયા ૪,૬૦,૦૦૦/-ની ચોરી કરી અજાણ્યા ચોર તસ્કરો ફરાર થઈ ગયા હતા. જયારે બોડવાંક ગામે રહેતા નટુભાઈ ગોવનભાઈ પટેલના ધરનું તાળું પણ તૂટેલ હોય પરંતુ ઘરમાંથી કોઈ ચીજવસ્તુ ચોરાયેલ ન હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે એજ ફળિયાના ગણપતભાઈના ઘરનું તાળું પણ તૂટેલ હોય પરંતુ ગણપતભાઈ વિદેશ ખાતે રહેતા હોય જેથી ઘરમાંથી શું-શું ચોરાયું તે હજી ખબર નથી. બનાવ અંગેની ફરિયાદ કરસનભાઈએ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500