ગાંધીનગર શહેરનાં સેક્ટર ૩૦માં રહેતી પરણીતા દ્વારા ચેતક કમાન્ડો એવા પતિના ત્રાસથી ઝેરી દવા પી લઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. બનાવ અંગે પરિણીતાના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પતિ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, મહેસાણાના ભીમપુર ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રાહુલજી ગણપતજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમની બહેન આશાના લગ્ન આશરે ૧૫ વર્ષ અગાઉ વડનગરના ભાલેસરા ગામના શૈલેષજી છનાજી ઠાકોર સાથે કરવામાં આવ્યા હતા.
તેના બનેવી હાલમાં મગોડીમાં આવેલા એસઆરપી ગૃપ ૧૨માં ચેતક કમાન્ડો તરીકે નોકરી કરે છે અને સેક્ટર ૩૦ ગાંધીનગર ખાતે રહે છે. ત્યારે ગત તારીખ ૧૬ માર્ચ નારોજ તેના મોટા ભાઇએ ફોન કરી માહિતી આપી હતી કે, આશાબેન બીમાર થઇ જતા વડનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વડનગર સિવિલમાં જતા બહેન બેભાન હતા અને ડાક્ટરને પૂછતા ઝેરી દવા પીધી હોવાનુ બહાર આવ્યું હતું. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ગાંધીનગર પાસેની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
તે સમયે જાણવા મળ્યું હતુ કે, બનેવી મારા બહેનને છેલ્લા દોઢ વર્ષથી હેરાન કરતા હતા. ઘર ખર્ચ માટે રૂપિયા આપતા ન હતા. અગાઉ ફોન ઉપર વાત કરતા ત્યારે કહેતી હતી કે, તેના પતિ હેરાન કરે છે, માનસિક ત્રાસ આપે છે. જ્યારે છેલ્લા એક મહિનાથી બોલતા પણ ન હતા. જ્યારે બહેનની સારવારમાં પણ બનેવીએ કહ્યુ હતુ કે, મારી પાસે રૃપિયા નથી. જેથી ગત ૧૬મી માર્ચના રોજ તેની પાસે રહેલી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. હાલ સેક્ટર ૨૧ પોલીસ દ્વારા આ અંગે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500