સુપ્રીમ કોર્ટે ઈન્ડિયા ગોટ લેટેંટ શોમાં માતા-પિતા અંગે અશ્લિલ ટીપ્પણી કરવાના આરોપી યુ-ટયૂબર રણવીલ અલ્લાહાબાદીયાને શરતો સાથે પોડકાસ્ટ ચલાવવાની મંજૂરી આપી હતી. જોકે સુપ્રીમે અન્ય યુટયૂબર સમય રૈનાની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું કે, સારી રીતે રહો નહીં તો તમારા જેવા સાથે કેવી રીતે કામ કરવું તેની અમને ખબર છે. સુપ્રીમને જણાવાયું હતું કે, તેની કાર્યવાહી મુદ્દે પણ રૈનાએ ટીખળ કરી હતી. પોડકાસ્ટર રણવીર અલ્લાહાબાદીયાની અરજી પર સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી હતી.
રણવીરે સોમવારે તેની અને ૨૮૦ કર્મચારીઓની રોજી રોટીનો હવાલો આપતા તેના શો પર મૂકાયેલો પ્રતિબંધ હટાવવા વિનંતી કરી હતી. આ સમયે સુપ્રીમે તેને શરતી મંજૂરી આપી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને એનકે સિંહની બેન્ચે કહ્યું કે, આ યુવાનો અને ઓવરસ્માર્ટ લોકો વિચારે છે કે તેમને અમારા કરતાં વધુ ખબર છે. તેમાંથી એક કેનેડા ગયો અને ત્યાં આ અંગે ટીપ્પણી કરી હતી. આ મુદ્દે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સમય રૈના વિદેશ ગયો અને તેણે આ કાર્યવાહીની મજાક ઉડાવી હતી.
ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, કદાચ તેમને ખબર નથી કે આ કોર્ટ પાસે કેટલી તાકાત છે. તેમણે યુ-ટયૂબર્સને ચેતવણી આપતા કહ્યું કે, સારી રીતે રહો નહીં તો તમારા જેવા સાથે કેવી રીતે કામ કરવું તે અમને આવડે છે. સમય રૈના ગયા મહિને કેનેડામાં ‘સમય રૈના અનફિલ્ટર્ડ’ ટૂર પર હતો. તેણે આ વિવાદ અંગે મજાક કરતા ટીપ્પણી કરી હતી. સ્ટેજ પર તેની પહેલી ટીપ્પણીમાં તેણે દર્શકો સામે મજાક કરતા કહ્યું, મારા વકીલની ફી આપવા માટે આભાર. સુપ્રીમે સમય રૈનાની ટીપ્પણી મુદ્દે તેની ઝાટકણી કાઢતા તેને સુધરી જવા સલાહ પણ આપી હતી. વધુમાં રણવીર અલ્લાહાબાદીયાને તેના શોમાં શાલિનતા અને નૈતિક્તાના માપદંડોને જાળવી રાખવા જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500