કેરળના વેંજારામુડુ થયેલા સામૂહિક હત્યાકાંડમાં આરોપી 23 વર્ષીય આફાનની પોલીસે આપેલા નિવેદનમાં કહ્યું કે, તેણે તેની પ્રેમિકાની હત્યા એટલા માટે કરી હતી કેમ કે, તે તેના વિના એકલી રહી શકતી નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ક્રૂર હત્યાકાંડમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આરોપી અફાન હત્યા બાદ પોતે વેંજારામુડુ પોલીસ સ્ટેશન ગયો અને આત્મસમર્પણ કર્યું. એ પછી તેણે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે તેની હાલત હવે સ્થિર છે અને પૂછપરછ બાદ તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી.
શુક્રવારે પોલીસે જણાવ્યું હતું કે, આ જઘન્ય અપરાધ પાછળ નાણાકીય તંગી હોવાનું એક મોટું કારણ હોઈ શકે છે. તપાસમાં એવુ પણ જાણવા મળ્યું કે, આરોપીએ 14 અલગ-અલગ લેણદારો પાસેથી લગભગ 65 લાખ રૂપિયાની લોન લીધી હતી. શરૂઆતમાં તેણે તેની માતા અને ભાઈ સાથે આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી. પરંતુ તારીખ 24 ફેબ્રુઆરીએ તેણે તેની 88 વર્ષીય દાદી, 13 વર્ષના ભાઈ, ગર્લફ્રેન્ડ, કાકા અને કાકીની હત્યા કરી દીધી હતી. આરોપીના પિતા જે એક દિવસ પહેલા જ વિદેશથી પરત ફર્યા હતા, તેમણે ગુના પાછળ આર્થિક સંકટ હોવાની વાત નકારી કાઢી હતી.
તેમણે કહ્યું, ‘અમારા પરિવાર પર કોઈ મોટું દેવું નહોતું. અમને હત્યા પાછળનું સાચું કારણ ખબર નથી અને પોલીસે તેની તપાસ કરવી જોઈએ.’ હત્યા બાદ અફાને તેની માતા પર પણ હુમલો કર્યો હતો. જોકે સદનસીબે તે બચી ગઈ અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે જણાવ્યું હતું કે, હત્યાઓ બે અલગ અલગ પોલીસ સ્ટેશન, વેંજારામુડુ અને પાંગોડના વિસ્તારમાં થઈ હતી. હાલમાં, પાંગોડ વિસ્તારમાં થયેલા હત્યાના કેસમાં તેની ધરપકડ નોંધાઈ છે અને બાકીના કેસોમાં પણ ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. હાલમાં પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા જાહેર થઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500