વલસાડનાં બામટી ગામનાં જલારામ મંદિર ફળિયામાં રહેતા ધનુબેન, પુત્ર ક્રિપાલકુમાર, પુત્રવધુ નેહાબેન અને ૨ વર્ષીય પૌત્ર સાથે રહેતા ખેડૂત ચંદુભાઈ તુળશીભાઈ પટેલને પાડોશમાં રહેતા નીતિન ઉર્ફે લાલુ મોહન પટેલ સાથે દોઢેક વર્ષ અગાઉ તકરાર થઈ હતી. જેની અદાવત રાખી નીતિન ખેડૂત ચંદુભાઈ સાથે છાશવારે ઝઘડો કરતો હતો. જોકે ગુરુવારે જલારામ મંદિરમાં આયોજીત સત્સંગમાંથી પરત ઘરે જઈ રહેલા ચંદુભાઈ એકલા મળી જતા નીતિને તેમને અપશબ્દો બોલીને લાકડાથી ઉપરાછાપરી ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
ઘટના અંગે મંદિર પાસે રહેતા ચંદુભાઈના સંબંધી હિનાબેન પટેલે આધેડના પુત્રને જાણ કરતા પુત્ર તથા ખેડૂતની પત્ની ધનુબેન સ્થળ પર દોડી આવ્યા હતાં અને ચંદુભાઈને આરોપીના વધુ મારથી બચાવ્યો હતો. આ સમયે નીતિન, ક્રિપાલને પણ મારવાની ધમકી આપી સ્થળ પરથી ચાલ્યો ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચંદુભાઈને સારવાર માટે સૌપ્રથમ ધરમપુરની હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. પરંતુ તેમની હાલત નાજુક હોવાથી સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં મોડી રાત્રે ૧૧:૪૫ કલાકે તેમનું મૃત્યુ થયું હતું. ઘટના અંગે ક્રિપાલકુમારે આરોપી નીતિન પટેલ સામે નોંધાવેલી ફરિયાદને આધારે ધરમપુર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application