ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ પહેલા કોંગ્રેસ કાર્યાલયથી નિગમ બોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા.
મનમોહન સિંહના અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. મનમોહન સિંહની મોટી પુત્રીએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર પહેલા લગભગ એક કલાક સુધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો. અહીં કોંગ્રેસના કાર્યકરોની સાથે સામાન્ય જનતાએ પણ તેમના અંતિમ દર્શન કર્યા હતા. મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેઓ ભારતના 13મા વડાપ્રધાન હતા અને આ પ્રતિષ્ઠિત પદ સંભાળનાર પ્રથમ શીખ નેતા હતા.
મનમોહન સિંહે મે 2004 થી મે 2014 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારનું નેતૃત્વ કર્યું હતું. ગુરુવારે રાત્રે 8.06 કલાકે તેમને નવી દિલ્હીની એઈમ્સની મેડિકલ ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા અને રાત્રે 9:51 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના હાથે કોંગ્રેસની હાર બાદ તેઓ જાહેર જીવનમાંથી નિવૃત્ત થઇ ગયા હતા ડૉ. મનમોહન સિંહે ઓગસ્ટ 2023માં રાજ્યસભામાં તેમનો છેલ્લો જાહેર દેખાવ કર્યો હતો. તેઓ રાજ્યસભાના સભ્ય હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500