છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકાના (વા) બામરોલી ગામે ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા તેર વર્ષના બાળકનો મૃતદેહ ઘર પાછળ આવેલા ખેતરના કૂવામાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. બાળકના મળી આવેલા મૃતદેહના પગલે અકસ્માત, હત્યા કે આત્મહત્યા? જેવા ગંભીર સવાલ ઉભા થઇ રહ્યા છે. હાલના તબક્કે તો તેની હત્યા કરીને કૂવામાં મૃતદેહ નાંખી દેવામાં આવ્યો હોવાની શંકા સેવાઇ રહી છે. જાંબુઘોડા તાલુકાને અડીને આવેલા બોડેલી તાલુકાના (વા) બામરોલીના બામણ ફળિયામાં રહેતા સંજયભાઈ રાઠવા તેમજ તેમની પત્ની ચંદ્રિકાબેન રાજસ્થાનના પાલી જિલ્લાના હાથલાઈ ખાતે જૈન મંદિરમાં પૂજારી તરીકે નોકરી કરે છે.
તેમના બે દીકરા મોટો આદિત્ય પંદર વર્ષ અને નાનો દીકરો હિમાંશુ કે જે 13 વર્ષનો છે, આ બંને સંતાનો અભ્યાસ કરી રહ્યા છે. જેથી સંજયભાઈ તથા તેમની પત્ની આ બંને દીકરાને બામરોલી ખાતે ઘરે પોતાની માતા સાથે મૂકી રાજસ્થાન રહે છે. ગત તારીખ 29 તારીખ ની રાત્રે આદિત્ય તેમજ તેને દાદી સાથે જમી રાત્રિના આશરે નવ વાગ્યાની આસપાસ ઘરની આગળ ના ભાગે ફડીયા માં હેન્ડ પંપ પાસે બંને ભાઈ બેસવા ગયા હતા. ત્યાંથી તેર વર્ષનો હિમાંશુ સંજયભાઈ રાઠવા પોતાના ઘરે જતો રહ્યો હતો. જ્યારે મોટો ભાઈ થોડો મોડો ઘરે પહોંચતા તેને પોતાના નાના ભાઈને ઘરે ન જોતા શોધ્યો હતો પરંતુ તે ન મળી આવતા સવારમાં વહેલા પણ તેની તપાસ કરતા હિમાંશુ નો કોઈ પતો લાગ્યો ન હતો.
ઘરના સભ્યોએ આજુબાજુ ગામમાં આ બાબતની જાણ કરતા તેર વર્ષના હિમાંશુ ગુમ થયાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. બોડેલી પોલીસ મથકે તારીખ 31 તારીખના રોજ હિમાંશુ ના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ૧લી જાન્યુઆરીની રોજ બામરોલી ખાતે તપાસ અર્થે પહોંચેલી પોલીસને ઘરની પાછળ આવેલા ખેતરના કૂવામાંથી હિમાંશુ ની લાશ મળી આવતા બામરોલી ગામ તેમજ તેના પરિવારજનોમાં માતમ છવાયો હતો. લાશ મળી આવતા પોલીસે પંચક્યાસ કરી હિમાંશુના મૃતદેહનુ પેનલ પીએમ માટેની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500