Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક : હેલિકોપ્ટર પાસે કાળાં બલૂન ઊડાડાયાં, બલૂન ઊડાડનારા કોંગ્રેસનાં ચાર કાર્યકરોની ધરપકડ

  • July 05, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં એક બહુ મોટી ચૂક રૂપે તેમનાં હેલિકોપ્ટર પાસે કાળાં બલૂન ઊડાડાયાં હતાં. આ કૃત્યથી કોઈપણ દુર્ઘટનાં સર્જાઈ શકે તેમ હતી. વડાપ્રધાનનાં હેલિકોપ્ટર નજીક બલૂન દેખાતાં સુરક્ષા એજન્સીઓ હાંફળી ફાંફળી બની ગઈ હતી. આ બલૂન ઊડાડનારા કોંગ્રેસનાં ચાર કાર્યકરોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર ગણ્ણવરમ એરપોર્ટ પરથી રવાના થયું તે જ વખતે કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે કાળા રંગના બલૂન છોડયાં હતાં.




આ બલૂન વડાપ્રધાનનાં હેલિકોપ્ટરની નજીક પહોંચ્યાં હતાં. એક સ્થળે બંધાઈ રહેલી ઈમારતની છત પર કોંગ્રેસના કાર્યકરો બલૂન છોડી રહ્યા છે અને મોદી ગો બેકના નારા પોકારી રહ્યા છે તેવો વીડિયો પણ વાયરલ થયો હતો. જોકે, બલૂન જોઈને સુરક્ષા એજન્સીઓ તરત સતર્ક થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ કરી લીધી હતી. ક્રિષ્ણા જિલ્લાનાં SP સિદ્ધાર્થ કૌશલનાં જણાવ્યા અનુસાર આ પ્રકરણમાં કોંગ્રેસનાં વધારે કાર્યકરોની ધરપકડ થઈ શકે છે.




જયારે ઝડપાયેલા ચારેયને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા માટે વિજયવાડા આવ્યા હતા. તેમણે રાત્રિ રોકાણ હૈદરાબાદમાં કર્યું હતું.  તેઆ  આંધ્રમાં અલ્લુરી સિતારામ રાજુની 125મી બર્થ એનિવર્સરીની ઉજવણીમાં ભાગ લેવા માટે વિજયવાડા પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે તેમની સામે દેખાવો યોજ્યા હતા.



જોકે, કાર્યકરોએ વિરોધ દેખાડવા માટે કાળા રંગના બલૂન પણ છોડતાં તેમની સુરક્ષા વ્યવસ્થામાં બહુ મોટી ખામીનો પર્દાફાશ થયો હતો. વડાપ્રધાનની મુલાકાતનાં સ્થળ આસપાસ કડક બંદોબસ્ત હોય છે. સમગ્ર વિસ્તાર સેનિટાઈઝ કરવામાં આવે છે. ખાસ કરીને વિરોધ દેખાવો વગેરે જેવી શક્યતાઓના સંદર્ભમાં આગોતરાં અટકાયતી પગલાં ભરવામાં આવે છે.




આમ છતાં કોંગ્રેસનાં કાર્યકરો છેક એરપોર્ટ પાસે કેવી રીતે પહોંચી ગયા અને ત્યાં સુધી તેઓ બલૂન લઈ જઈને કેવી રીતે છોડી શક્યા અને તેમની હિલચાલ પર કોઈ સુરક્ષા એજન્સીનું ધ્યાન પણ કેમ ના ગયું વગેરે અનેક સવાલો ઊભા થતાં કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓએ તપાસ શરુ કરી છે.




વડાપ્રધાનની સુરક્ષાનો હવાલો સંભાળતાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ સહિતની એજન્સીઓએ આ સમગ્ર પ્રકરણમાં તપાસ ચાલુ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ગયા જાન્યુઆરી માસમાં વડાપ્રધાન મોદીની પંજાબની મુલાકાત વખતે પણ આ રીતે તેમની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઈ હતી. ત્યારે ફિરોઝપુરમાં હુસૈનીવાલા ખાતે તેમનો કાફલો એક ફ્લાયઓવર પર દેખાવોને કારણે અટવાઈ ગયો હતો. તે પછી વડાપ્રધાનની સુરક્ષા અંગે ભારે ચર્ચા છેડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application