વાપી ખાતે વાપી-સેલવાસ રોડ નજીક ૦૬ દિવસ પહેલાં હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવવાની ઘટનામાં હત્યારા એક ૧૯ વર્ષીય ભિક્ષુક યુવક તથા તેના સગીર વયના બે સાથીદારો નીકળ્યા હતા. તે ઇસમ શરીરે અશક્ત હોવાથી તેના હાથ-પગ ભાંગીને બળજબરીપૂર્વક ભીખ મંગાવવાની આરોપીઓની મંશાનો વિરોધ કરવા જતા તેની હત્યા કરી દેવાયાનો ખુલાસો પણ થયો છે. આ ગુનામાં વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડેલા ૩ પૈકી કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો અનુક્રમે ૧૪ અને ૧૫ વર્ષની વયના છે. મળતી માહિતી મુજબ, વાપીના ઈમરાનનગરમાં આવેલા સહારા માર્કેટની સામે આવેલી રિલાયન્સ કંપનીની ખુલ્લી પ્લોટવાળી જગ્યામાં ગત તારીખ ૦૫-૦૩-૨૫ નારોજ ૪૦થી ૪૫ વર્ષની વયના અજાણ્યા શખ્સની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી.
જે અંગે એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ તથા વાપી ટાઉન પી.આઈ. કે.જે. રાઠોડ તથા બંને પોલીસમથકોના સર્વેલન્સ સ્ટાફે હાથ ધરેલી તપાસમાં સીસી ટીવી ફૂટેજ મેળવવા સાથે મૃતકની ઓળખ બાબતે પૂછપરછ ચાલુ કરી હતી. સીસીટીવી ફૂટેજોમાં તે ઈસમને અન્ય ઈસમો પકડીને રોડની સાઈડમાં લઇ જતા જોવા મળ્યા હતા. ભિખારી જેવા લાગતા આ ઈસમો બસ તથા રેલવે સ્ટેશન અને ફૂટપાથ પર ભીખ માંગતા હતા. તેથી પોલીસે ત્રણેયને વાપી સ્ટેશન બહાર ફૂટપાથ પરથી ઝડપી લીધા હતા. પકડાયેલા પૈકી આદેશ ઉર્ફે આદુ રામશેઠ અમરીયા ભોસલે (મૂળ રહે. બેલુંડી, જિ.શ્રીગોંદા, મહારાષ્ટ્ર)ની ઉંમર ૧૯ વર્ષની છે.
જયારે કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય બે જણાની ઉંમર ૧૪ અને ૧૫ વર્ષની છે. પકડાયેલા આરોપીઓએ કરેલી કબૂલાત મુજબ જેની હત્યા કરાઈ તે શરીરે અશક્ત હતો. તેથી એઓએ તેના હાથ અને પગ ભાંગીને અપંગ બનાવી બળજબરીપૂર્વક ભીખ મંગાવવાનું નક્કી કર્યું હતું. જેનો એ ઇસમે વિરોધ કરતા આદેશ તથા બંને બાળકિશોરોએ તેને પકડીને અવાવરું જગ્યામાં લઇ જઈ પગ અને હાથના ભાગે લાકડાના ફટકા મારી ઇજા પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી આદેશ ભોસલેને જયુડિશિયલ કસ્ટડી [કસ્ટડીમાં મોકલી આપ્યો છે જયારે બંને સગીર વયના બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ હોમમાં મોકલ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500