સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં વાંસકૂઈ ખાતે ગુજરાતભરમાં જાણીતો ગોળીગઢ બાપુનો મેળો પ્રતિવર્ષ હોળીનાં આગલા રવિવારે ભરાય છે. આ વર્ષે મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન અને ખાસ કરીને મુંબઈથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાધા-માનતા પુરી કરવા માટે આવ્યા હતા. લોકોએ શ્રીફળ, માટી અને રૂપાની ગોળી ચઢાવી પોતાની બાધા માનતા પુર્ણ કરી હતી. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ મેળામાં ઉમટી હતી.
મળતી વિગતો પ્રમાણે, મહુવા તાલુકાનાં વાસકુઈ ખાતે ભરાતા ગોળગઢ બાપુનાં આ મેળા પાછળ અનેક શ્રદ્ધાઓની આસ્થા છૂપાયેલી હોય છે. વર્ષોથી ભરાતા મેળામાં લોકો દૂરદૂરથી ઉમટી પડે છે. ગોળીગઢ બાપુ માટે શ્રધ્ધાળુઓ બાધા રાખે છે અને એની બાધા રાખવા સારૂ અને બાધા માનતા ઉતરવા સારૂ આ મેળામાં ગોળીગઢ બાપુનાં મંદિરે આવે છે. જે લોકોને જુના રોગો હોય, શરીરનાં ભગો ઉપર ગોળી વધતી હોઈ, ડોકટર પાસે જઈને થાક્યા હોય એવી વ્યક્તિ ગોળીગઢ બાપુની બાધા રાખે છે.
બાધામાં શ્રીફળ, માટી અને રૂપાની ગોળી ચઢાવે છે. વાંસકૂઈ ગામમાં ગોળીગઢ બાપુનું એક મંદિરનું અસ્તિત્વ વર્ષોથી છે. રવિવારે ભરાયેલા ગોળીગઢનાં મેળામાં શ્રધ્ધાળુઓએ આનંદ પ્રમોદ માટે ચકડોળ, મોતનો કુવો, ઠંડાપીણાનાં સ્ટોલ, નાસ્તા, ફળફળાદી, જાદુ-હાથ કરામતો અનેક નાની-મોટી દુકાનોનો મેળો જામ્યો હતો. આ મેળામાં આવવા સુરત, નવસારી, બારડોલી ડેપો પરથી બસો ઉપાડવામાં આવી હતી. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અન્ય રાજ્યમાંથી પણ ગોળગઢ બાપુનાં દર્શનાર્થે દરવર્ષની જેમ આવ્યા હતા અને ગોળીગઢનાં મેળામાં બે-ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિકજામ રહ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500