ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. મ્યાનમારમાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપ અને હજારો લોકોના મોતથી લોકો હજુ પણ ભયભીત છે, ત્યારે શુક્રવારે ભારતનાં ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત ત્રિપુરા રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે ત્રિપુરાની રાજધાની અગરતલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ હળવી તીવ્રતાનો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ મુજબ ભૂકંપનું કેન્દ્ર ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હતું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે. આ ભૂકંપ શુક્રવારે સાંજે લગભગ 4:23 વાગ્યે આવ્યો હતો. બીજી તરફ દિલ્હીમાં PWD વિભાગે તમામ મહત્વપૂર્ણ ઈમારતોનો સર્વે કરીને તેમને ભૂકંપ પ્રતિરોધક બનાવવાનો આદેશ જારી કર્યો છે. મ્યાનમારમાં તાજેતરમાં આવેલા ભૂકંપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. પીડબ્લ્યુડી દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘હોસ્પિટલો, શાળાઓ, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ ઈમારતોમાં તપાસો કે શું આ ઈમારતોને ભૂકંપ સહિતની આપત્તિથી બચાવવા માટે ફેરફાર કરવાની જરૂર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500